અમદાવાદ, ગુજરાત | ૧૬ માર્ચ ૨૦૨૬ — રોટરી સર્વમ દ્વારા 13 માર્ચ 2026ના રોજ પંડિત દીનદયાલ ઓડિટોરિયમ, રાજપથ–રંગોળી રોડ, અમદાવાદ ખાતે “સ્પેલબાઉન્ડ– સુહાની શાહ લાઇવ” નામનો અનોખો કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો. આ વિશેષ કાર્યક્રમમાં 1000થી વધુ દર્શકો હાજર રહ્યા અને તેમણે મનને ચકિત કરી દે તેવો મેન્ટાલિઝમનો અનોખો અનુભવ કર્યો.
કાર્યક્રમમાં ભારતની જાણીતી મેન્ટાલિસ્ટ સુહાની શાહએ માઇન્ડ રીડિંગ, સાઇકલોજિકલ ઇલ્યુઝન અને દર્શકો સાથેની જીવંત ભાગીદારી દ્વારા એવું પ્રદર્શન કર્યું કે સમગ્ર હોલ મંત્રમુગ્ધ થઈ ગયો. માનસશાસ્ત્ર, સ્ટોરીટેલિંગ અને લાઇવ ઇન્ટરએક્શનનું સુંદર સંયોજન દર્શકો માટે અવિસ્મરણીય અનુભવ સાબિત થયું.
ડૉ. ગીતીકા સલૂજા અને લલિત ગાંધીએ જણાવ્યું કે આ કાર્યક્રમ દ્વારા એકત્ર થયેલ ફંડનો ઉપયોગ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણ માટે સહાય, શાળાઓમાં સ્ટીમ (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, કલા અને ગણિત)લેબ્સની સ્થાપના, તેમજ વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ ઓળખવામાં મદદરૂપ થાય તેવા વોકેશનલ ઇન્ટરેસ્ટ અને એપ્ટિટ્યુડ એસેસમેન્ટ માટે કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ સાંજ એ વાતનો પુરાવો છે કે જ્યારે સમાજના સંવેદનશીલ લોકો એક સારા હેતુ માટે સાથે આવે છે ત્યારે મોટા પરિવર્તન શક્ય બને છે. સ્પોન્સર્સ, ભાગીદારો, સ્વયંસેવકો અને શુભેચ્છકોના સહકારથી કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો, જે અમદાવાદના સામાજિક જોડાણ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
“સ્પેલબાઉન્ડ” માત્ર મનોરંજન પૂરતું નહોતું, પરંતુ તે યુવાનો માટે નવી તકો સર્જવા અને શિક્ષણ આધારિત પરિવર્તન તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું.
