મુંબઈ નગરીના મુલુંડ વિસ્તારમાં ઉર્જા 500 મહોત્સવનો ઐતિહાસિક, ભવ્ય અને આધ્યાત્મિક આરંભ પદ્મભૂષણ વિભૂષિત પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા રચાયેલ 500 આધ્યાત્મિક પુસ્તકો ની દિવ્ય શોભાયાત્રા સાથે થયો, જેના દ્વારા જૈન આધ્યાત્મિક સાહિત્યમાં એક અદ્વિતીય અને ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેરાયો. અહિંસા, સંયમ, તપસ્યા, સાધના અને આત્મજાગૃતિના મૂલ્યોને પ્રતિબિંબિત કરતી આ શોભાયાત્રાને સુવિશાલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા ગચ્છાધિપતિ પરમ પૂજ્ય શ્રી કલ્પતરું સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પાવન નિશ્રા પ્રાપ્ત થઈ, જેમાં 1200થી વધુ જૈન સાધુ-સાધ્વીઓ તેમજ મુંબઈના 500થી વધુ જૈન સંઘોના શ્રાવક-શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા. શોભાયાત્રા બાદ રિચર્ડસન એન્ડ ક્રૂડાસ જમ્બો ફેસિલિટી સેન્ટર, મુલુંડ (પશ્ચિમ) ખાતે મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા દ્વારા કરવામાં આવ્યું, જેમણે આજના સ્પર્ધાત્મક યુગમાં 500 આધ્યાત્મિક પુસ્તકો ની રચનાને રાષ્ટ્રસેવા સમાન ગણાવી અને જૈન દર્શનના અહિંસા, સંયમ અને સંતુલન જેવા મૂલ્યોની સમયોચિતતા રેખાંકિત કરી. મહોત્સવના પ્રથમ દિવસની ભાવનાત્મક સમાપ્તિ “સાત શ્વાસ નો ઇતિહાસ – શત્રુંજય તીર્થની અનકહી ગાથા” નામક હૃદયસ્પર્શી ધાર્મિક નાટ્યપ્રસ્તુતિ સાથે થઈ. આગામી પાંચ દિવસ સુધી ચાલનારો ઉર્જા 500 મહોત્સવ આધ્યાત્મિક પ્રવચનો ઉપરાંત બાળકો માટે રમત સાથે જ્ઞાન આપતો વિશેષ કિડ્સ ઝોન, ઇમર્સિવ ઝોન, શ્રી આદેશ્વર ભગવાન ની 50 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા, 1 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં વ્યાપેલો વિશાળ પ્રવચન મંડપ, ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પ્રાચીન કલાનું મનોહર પ્રદર્શન, પવિત્ર શેત્રુંજય તીર્થ – જય તળેટીની પ્રતિકૃતિ તેમજ ઐતિહાસિક ‘1 થી 500’ પુસ્તકો પ્રદર્શન દ્વારા શ્રદ્ધા, શિસ્ત અને આધ્યાત્મિક જાગૃતિનો સશક્ત સંદેશ આપશે.
