- શિક્ષકે પાંચ શાળાનું ધ્યાન રાખવું: પુ મોરારિબાપુ
- તલગાજરડામાં ચિત્રકૂટ એવોર્ડ સાથે શાળા લોકાર્પણ
ગુજરાત, અમદાવાદ | ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ — ગુજરાતના વિવિધ 34 જિલ્લા અને બે નગરપાલિકા મળીને કુલ 36 એવોર્ડ ચાલુ વર્ષે ચિત્રકૂટ ધામની પ્રેરણાથી અર્પણ કરવામાં આવ્યા.કાર્યક્રમમાં સ્વાગત શિક્ષક સંધના તાલુકા પ્રમુખશ્રી મનુભાઈ શિયાળે કર્યું. પ્રાસંગિક ઉદબોધન રાજ્ય શિક્ષક સંઘના મહામંત્રી શ્રી જૈમીનભાઇ પટેલ કર્યું હતું. ગુજરાત શિક્ષક સંઘના અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે હું છેલ્લાં 11 વર્ષથી આ ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સદનસીબ પ્રાપ્ત કરી શક્યો છું. આ પવિત્ર કાર્યમાં પૂ. બાપુની સાથે જોડાવાનો મારા જીવનનો અમૂલ્ય લહાવો છે.
કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે મેં સવા વર્ષ સુધી શિક્ષણ મંત્રી તરીકે કામ કર્યું છે પરંતુ મને જેટલો સમય મળ્યો તેમાં સૌ શિક્ષકોની વેદનાને સમજવાનો અને તેના આંસુઓને પોષવાનો મેં ક્યારેય સમય ગુમાવ્યો નથી. 600 જેટલા શિક્ષકો કે જે અસાધ્ય રોગોથી પિડિત હતાં તેમને પોત પોતાની માંગણી મુજબ બદલીનું સ્થાન અપાવ્યું હતું.
પુ.મોરારિબાપુ એ આશીર્વાદ આપતા કહ્યું કે શિક્ષકોએ માત્ર આપણી શાળા નહીં પરંતુ આપણે પાંચ શાળાઓ આકાશ, પાણી, વાયુ,અગ્નિ અને પૃથ્વી આ પંચ તત્વો પણ એક શાળા છે તેનું ધ્યાન રાખવું જોઈએ. આકાશ આનંદ શાળા,પાણી એ પ્રાણશાળા, વાયુ એ વ્યાયામ શાળા, અગ્નિ એ પવિત્ર શાળા અને પૃથ્વી એ પાઠશાળા છે. જેની પાસે સત્ય હોય તે અભય થઈને ઉભો રહે છે. સંવેદન હીન વિજ્ઞાન બૌદ્ધિક પાપ છે. બાપુએ ભારપૂર્વક અહીં આપ સૌ વંદના સ્વીકારવા માટે આવો છો તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો. બાપુએ જીતુભાઈ વાઘાણીને ઋષિથી હવે કૃષિ માટે કાર્ય કરી રહ્યા છે તેના માટે પણ આનંદ વ્યક્ત કર્યો હતો.
મહુવા તાલુકાનું શિક્ષક સંમેલન પણ આ સાથે યોજાઈ ગયું. જેમાં 13 નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષો સુધી કાર્યરત રહેલા બગદાણાના શ્રી ભરતભાઈ પંડ્યા કે જે આ કાર્યક્રમના હંમેશા સંચાલક રહ્યા છે તેમનું પણ નિવૃત્તિ સન્માન થયું.
કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા.જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખશ્રી નવઘણભાઈ અને મહામંત્રી શ્રી પી.પી સરવૈયા વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.
===♦♦♦♦===
