પરાવાણી,વેદવાણી,સંતવાણી, ગુરુવાણી અને લોકવાણી પણ માતૃપંચક છે.
પાંચેય વાણીએ માતાની વંદના કરી છે.
ઊપરથી આવે તો એ નભવાણી અને કોઈ ભજનાનંદીની નાભિમાંથી ઉપર જાય તો એ નાભીવાણી છે.
વાણી સર્જન કરે છે.
મહા આકાશમાંથી આવે કે ઘટ આકાશમાંથી આવે,એ પહેલી વાણી છે.
ઓમ સાર્વત્રિક છે કોઈ પણ ધર્મ ઓમના નાદને સ્વિકારે છે.
ગીતા જયંતિની સૌને વધાઇ અપાઇ
તબ મયના હિમવંતુ અનંદે;
પુનિ પુનિ પારબતિ પદ બંદે
-બાલકાંડ દોહો-૯૯
પારબતિ ભલ અવસર જાની;
ગઇ સંભુ પહિં માતુ ભવાની
-બાલકાંડ દોહો-૧૦૭
ઘાટકોપર-મુંબઇની કથાનો આજે પૂર્ણાહૂતિ દિવસ.બીજ પંક્તિઓનાં ગાયન બાદ કથા પ્રસંગો સાથે ઉપસંહારક વાતોને વણી લઇ સદ્ભાવના વૃધ્ધાશ્રમ અને વૃક્ષ સંવર્ધનનું પરમારથ કાર્ય કરતા સૌ ટ્સ્ટીશ્રીઓ,કાર્યકરો અને દાનવીરો તેમજ નમ્રમુનિ સાહેબની આશીર્વાદક છાયામાં મનોરથી પરાગભાઇ શાહની સેવાઓ તરફ પસન્નતા અને સાધુવાદ વ્યક્ત કર્યો.
કથાની શરૂઆત કરતા બાપુએ કહ્યું કે માનસ વંદે માતરમ નારાથી સમગ્ર ભારત અને સમસ્ત વિશ્વ માટે નાદ વ્યક્ત થયો અને એમાં આપણે માતૃ પંચકની પણ વંદના કરી.
સાથે-સાથે ઉમેર્યું કે પોતાના સેવકો માટે પરાગભાઈએ મકાન-ફ્લેટની ચાવી આપી એ માનવતાના યજ્ઞમાં ખૂબ મોટી આહૂતિ છે.આવા અનેક પ્રકલ્પો એના હસ્તે થતા રહે એવી પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે વિજ્ઞાન કહે છે કે અહીં કંઈ ન હતું ત્યારે ખૂબ જ મોટો નાદ,મહાવિસ્ફોટ,બિગબેંગ થયો અને એના ગર્ભમાંથી ઘણું બધું નિર્માણ પામ્યું. નાસાએ આ બિગબેંગ,આ વાણીને પકડીને રેકોર્ડિંગ પણ કરી છે- એ વાણી આપણી મા છે.વાણી માતા છે એટલે સરસ્વતીને આપણે પૂજીએ છીએ.ખૂબ ઊંડાણથી સાંભળીએ તો એમાં પ્રણવની ધ્વનિ ઓમકારનો અવાજ સંભળાય છે.આદિ ધ્વનિ નભવાણી કે આકાશવાણી જેને આપણે પરાવાણી કહી શકીએ.ઉપરથી આવે તો એ નભવાણી છે અને કોઈ ભજનાનંદીની નાભિમાંથી ઉપર જાય તો એ નાભીવાણી છે.એ સર્જન કરે છે.એ મહા આકાશમાંથી આવે કે ઘટ આકાશમાંથી આવે,એ પહેલી વાણી છે.ઓમ સાર્વત્રિક છે કોઈ પણ ધર્મ ઓમના નાદને સ્વિકારે છે.
બીજી વેદવાણી પણ માતા છે.ચાર વેદ અને એમાં સૌથી પહેલા ઋગ્વેદ આવ્યો.
સંતવાણી પણ આપણી મા છે.કોઈ સાધુ-કબીર, નાનક,મીરા,તુકારામ,જ્ઞાનદેવ,જેવા સંતોની વાણી એમાં છે.
ચોથી ગુરુવાણી-જે ભૌતિક રીતે કદાચ દૂર હોય પણ મનથી ખૂબ નજીક બેસાડીને આપણને પ્રસાદ આપે છે.આખી શીખ પરંપરામાં ગુરુબાની ઉતરી છે.
પાંચમી લોકવાણી માતા છે.વેદવાણી અને અન્ય વાણીમાં સંસ્કૃત છે પણ આપણી દેહાતી બોલીમાં આપણી તળપદી ભાષામાં મહાવીર,બુધ્ધ,કબીર જેવા મહાપુરુષો બોલ્યા છે.
પાંચે વાણીએ ધરતીને મા કહીને પોકારી છે.
બાકી રહેલી કથાને સંક્ષિપ્ત રૂપે આગળ વધારતા વિવિધ કાંડોની વિશિષ્ટ વાત કરી અને વશિષ્ઠના હાથે અયોધ્યામાં રામને રાજગાદી પર બેસાડીને રાજ તિલક કર્યું અને રામરાજ્યની સ્થાપના થઈ.એ પછી ગરુડના પાંચ પ્રશ્નો બાદ ચારેય ઘાટો ઉપરથી કથાને વિરામ અપાયો.ગીતા જયંતિની સૌને વધાઇ અપાઇ અને કથાનું પૂણ્યફળ-પ્રેમફળ-સુફળ ભારતમાતાનાં ચરણમાં અર્પણ કરાયું.
આગામી ૬૬૮મી રામકથા ઓશોની સ્મૃતિમાં,ઓશો જન્મોત્સવ પર સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ,સાઉથ સિવિલ લાઇન, ઓશોનાં જન્મ સ્થળ જબલપુર(મ.પ્ર.) ખાતે ૬થી ૧૪ ડીસેમ્બર દરમિયાન યોજાશે.
જેનું નિયત નિયમિત પ્રસારણ આસ્થા ટીવી તેમજ ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ પર નિહાળી શકાશે.
Box
કથા વિશેષ:
૨૦૪૫ સુધીમાં ભારત બની જશે ગ્રીન ભારત
કથાનાં આરંભે પૂર્ણાહૂતિ ટાણે એક વિશેષ પ્રકલ્પ યોજાયો.સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરિયાએ પોતાનો ભાવ વ્યક્ત કરતા કહ્યું કે ૨૦૪૫ સુધીમાં સમગ્ર ભારત ગ્રીન બનશે.૧૫૦ કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ પૂરો થશે.સાથે-સાથે ૫૦૦૦ જેટલા વડીલ માવતરોને ૧૪૦૦ જેટલી રૂમમાં રાખવામાં આવશે.જે ૪૦૦ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે.
આ જાન્યુઆરીથી નવો જે આશ્રમ બની રહ્યો છે એની પ્રથમ વીંગ પણ શરૂ થઈ જશે.
પરાગભાઈ ગદગદ ભાવે જણાવ્યું કે મારા પિતાશ્રીના અવસાનને ૧૩ વર્ષ થયા અને બાપુને હું માત્ર ૧૩ વખત મળી શક્યો છું પણ એવું લાગે છે કે જાણે જનમો જનમનો ઋણાનુબંધ હોય! ભાવ સભર શબ્દો દ્વારા કહ્યું કે બાપુ જાય એ ગમતું નથી.
પરંતુ એક વિશિષ્ટ કાર્ય એણે કર્યું કે પોતાને ત્યાં કામ કરતા અને આર્થિક રીતે નાના વ્યક્તિઓ એવા બે વ્યક્તિઓને પોતાના પૌત્રને હસ્તે,વ્યાસપીઠ પર બાપુ હસ્તક ફ્લેટની ચાવી અપાવી.એક ફ્લેટ સવા-સવા કરોડ રૂપિયાનો થાય એવા બે ફ્લેટની ચાવી બાપુના હસ્તે આપી.
આજના પૂર્ણાહૂતિ દિવસે નમ્રમુનિ મહારાજ સાહેબે વિડીયો દ્વારા બાપુની કથા અને પરાગભાઈનાં કાર્ય માટે પોતાના શુભ આશીર્વાદ પાઠવ્યા.
ગ્લોબલ કચ્છ સંસ્થા દ્વારા કચ્છમાં પણ ૫૦,૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો.
