ભાવી આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તા.05-03-2026 થી તા.11-03-2026 સુધી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
જેતલપુર, 06 માર્ચ, 2026: ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને આગામી વિ. સ. 2082 ફાગણવદ આઠમ તા. 11-03-2026ના શુભમંગલ દિવસે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના ભાગરુપે શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા મોટા મહારાજશ્રી પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ભાવી આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તા.05-03-2026 થી તા.11-03-2026 સુધી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે આયોજિત ભવ્ય કાર્યક્રમ “અવસર”ના બીજા દિવસે વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરનારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પદ્મશ્રી સન્માનિત શ્રી ભીખુદાન ગઠવી, શ્રી શાહબુદ્દીન રાઠોડ, શ્રી પરેશભાઇ રાઠવા, શ્રી નીલેશ માંડલેવાલા, શ્રી રતન પરિમો, ડો. વિષ્ણુ કુમાર પંડ્યા, શ્રી રઘુવીર ચૌધરી, શ્રી ચંદ્રકાંત શેઠ, શ્રી ભાનુભાઇ ચિતારા અને શ્રી રતિલાલ બોરિસાગર સહિતના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
બીજા દિવસના કાર્યક્રમમાં ભગવાન ભોળાનાથ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરના પૂજ્ય પૂજારી શ્રી તિર્થરાજ ત્રિપાઠીજીએ મોટા મહારાજશ્રીનું સન્માન કર્યું હતું. ખેડા મતવિસ્તારના છેલ્લાં ત્રણ ટર્મથી સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણનું સ્વાગત મોટા મહારાજશ્રીએ કર્યું હતું. તેમની સાથે વીએચપીના જયદીપ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
