ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ સોમનાથ પર્વ – 2026ના કાર્યક્રમ સંદર્ભે જણાવ્યું હતું કે,ભારતની અખંડ આસ્થા, અડીખમ સ્વાભિમાન અને સનાતન સંસ્કૃતિના પ્રતીક સમાન શ્રી સોમનાથ મહાદેવ મંદિર પર છેલ્લા 1,000 વર્ષ દરમિયાન થયેલા વારંવારના આક્રમણો થવા છતાં પણ અડગ રહીને ઉભેલું સોમનાથ મંદિર ભારતીય સંસ્કૃતિની અતૂટ શ્રદ્ધા અને અવિસ્મરણીય શક્તિનું જીવંત પ્રતીક છે.પ્રથમ આક્રમણને 1,000 વર્ષ તથા મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસીક અવસરે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ને યાદગાર બનાવવા માટેનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વની ઉજવણી તારીખ 08 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી 2026 દરમ્યાન રાજ્ય અને દેશવ્યાપી સ્તરે કરવામાં આવશે.
‘સોમનાથ સ્વાભિમાન પર્વ-2026’નો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મની અખંડ આસ્થા, સહનશીલતા અને શક્તિને નવી પેઢી સુધી પહોંચાડવો, સોમનાથ મંદિરના રક્ષણ માટે જીવન સમર્પિત કરનાર બલિદાનોનું સ્મરણ કરવું તથા રાષ્ટ્રના સાંસ્કૃતિક સ્વાભિમાનને વધુ મજબૂત બનાવવાનો છે.
તા.10મી જાન્યુઆરીના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ સોમનાથ ખાતે “સોમનાથ સ્વાભિમાન પર્વ -2026” ના કાર્યક્રમમાં જોડાશે જ્યા તેમનો ભવ્ય રોડ – શો તેમજ જંગી જાહેર સભાને સંબોધન કરશે, જે આ પર્વને વધુ ઐતિહાસિક અને પ્રેરણાદાયક બનાવશે. સાથે જ આ કાર્યક્રમમાં ગુજરાત સરકારનાં મંત્રીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનશ્રીઓ, સમાજનાં શ્રેષ્ઠીશ્રીઓ અને નાગરિકો જોડાશે.
રાજ્યના મુખ્યમંત્રી આદરણીયશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ગાંધીનગર સ્થિત પૌરાણિક શ્રી ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે આવતીકાલે 8 જાન્યુઆરી ગુરુવારના રોજ સવારે 09.00 કલાકે પૂજા-અર્ચનામાં જોડાઇ 72 કલાકની અખંડ આરાધનાનો શુભારંભ કરાવશે. તા.8 થી 10 જાન્યુઆરી આ 72 કલાક દરમ્યાન ગુજરાતનાં 243 જેટલા શિવ મંદિરોમાં પૂજા-અર્ચના, ભજન-કીર્તન, રુદ્રાભિષેક અને વિશેષ આરાધનાનું આયોજન કરવામાં આવશે અને 1,000 થી વધુ શિવમંદિરોમાં એક દિવસય શિવ આરાધના કાર્યક્રમ યોજાશે. સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન રાજ્યના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા ભાજપના અગ્રણીશ્રીઓ જુદા-જુદા શિવમંદિરોમાં ઉપસ્થિત રહી શિવજીની આરાધના કરશે.
