ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગઇકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કરીને લોકશાહીની મર્યાદા, પ્રધાનમંત્રીશ્રીના પદની ગરિમા તથા સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષને ન છાજે તેવા આ બેજવાબદાર કૃત્યના વિરોધમાં આજે ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ અમદાવાદના પાલડી સ્થિત ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ધરણાં પ્રદર્શન યોજાયું હતું. ભાજપા કાર્યકર્તાઓએ કોંગ્રેસના શરમજનક વર્તનની નિંદા કરતાં વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના આવાસને ઘેરવાના કોંગ્રેસના કૃત્યનો સખત વિરોધ નોંધાવ્યો હતો.
આ ધરણાં પ્રદર્શન દરમિયાન પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં દરેક રાજકીય પક્ષને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ દેશના પ્રધાનમંત્રીના નિવાસસ્થાનની સુરક્ષા, પદની ગરિમા અને બંધારણીય મર્યાદાઓનું પાલન કરવું દરેકની નૈતિક અને લોકશાહી જવાબદારી છે. કોંગ્રેસે આ તમામ મર્યાદાઓનો ભંગ કરીને જે શરમજનક કૃત્ય કર્યું છે તે અત્યંત નિંદનીય છે.
તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના પ્રશ્નો અને જાહેર હિતના મુદ્દાઓ પર જવાબદાર અને રચનાત્મક ચર્ચા થવી જોઈએ, પરંતુ કોંગ્રેસ આવા ગંભીર મુદ્દાઓને પણ રાજકીય સ્વાર્થ માટે ઉપયોગમાં લઈ યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકારે નીટ પરીક્ષાના મુદ્દે પારદર્શક તપાસ, દોષિતો સામે કડક કાર્યવાહી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે અસરકારક પગલાં લીધા છે. તેમ છતાં કોંગ્રેસ અને તેના નેતા શ્રી રાહુલ ગાંધી આ મુદ્દે માત્ર રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શ્રી વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, પેપર લીક જેવી ગંભીર ઘટનાના સંદર્ભે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંબંધિત તંત્રને સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપી છે. ગઇકાલે કોંગ્રેસે રાજકીય નાટક કરીને જે બેજવાબદાર વર્તન કર્યું છે તેને ગુજરાત અને દેશની જનતા ક્યારેય સ્વીકારશે નહીં.
શ્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ દેશનો યુવાન આજે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદાર બન્યો છે. યુવાનો આજે માત્ર ‘જોબ સીકર’ નહીં, પરંતુ ‘જોબ ગીવર’ તરીકે નવી તકોનું સર્જન કરી રહ્યા છે અને ભારતે વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે. વિશ્વના ૩૪ થી વધુ દેશોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સર્વોચ્ય સન્માનથી નવાજ્યા છે જે ભારતની વૈશ્વિક સ્તરે મજબૂતીનું ઉદાહરણ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પોતાના દાયકાઓના શાસનકાળ દરમિયાન જે વિકાસકાર્યો કરી શકી નહોતી, તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ટૂંકા ગાળામાં સાકાર થયા છે. પરિણામે આજે દેશના યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત સમાજના દરેક વર્ગમાં ભાજપ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે અતૂટ વિશ્વાસ વ્યક્ત થઈ રહ્યો છે અને જનતા સતત ભાજપાને જનસેવાની તક આપી રહી છે. વર્ષોથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ હવે યુવાનોને ગેરમાર્ગે દોરીને રાજકીય લાભ મેળવવાના ષડયંત્રોમાં વ્યસ્ત છે, પરંતુ ગુજરાત અને દેશની જાગૃત જનતા આવા રાજકીય ષડયંત્રોને ક્યારેય સફળ થવા દેશે નહીં.
આ ધરણાં પ્રદર્શનમાં પ્રદેશ મહામંત્રીશ્રીઓ શ્રી અનિરૂદ્ધભાઈ દવે, શ્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ પ્રવકતાશ્રી ડૉ. અનિલભાઈ પટેલ, અમદાવાદના મેયરશ્રી, અમદાવાદ તથા ગાંધીનગરના શહેર-જિલ્લા ભાજપા સંગઠનના પ્રમુખશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, ભાજપા અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં અને કોંગ્રેસના નિંદનીય વર્તન સામે વિરોધ નોંધાવ્યો હતો.
