ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિએશન (FAITTA) ભારતના ચા વેપાર ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા છે. આ સંસ્થા ચા ઉત્પાદકો, વેપારીઓ, પેકેટર્સ, બ્રોકર્સ, જથ્થાબંધ અને છૂટક વેપારીઓ તથા વિવિધ એસોસિએશનોને એક મંચ પર લાવવાનું કામ કરે છે. તે વધુ પારદર્શિતા, જવાબદારી અને ખાદ્ય સુરક્ષાના ધોરણોના પાલન દ્વારા ચાના વેપારને મજબૂત બનાવવા માટે કાર્યરત છે.
FAITTA ના ચેરમેન અને વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈની આગેવાની હેઠળ સંસ્થાએ આસામના પૂર પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. FAITTA એ રાજ્યમાં પૂર રાહત કાર્યો માટે મુખ્યમંત્રી રાહત ફંડ (CMRF) માં રૂપિયા 81.36 લાખનું યોગદાન આપ્યું છે. આ ઉપરાંત, દેશના અન્ય પ્રાદેશિક ચા એસોસિએશનોને પણ આ સેવા કાર્યમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.
પારસ દેસાઈના નેતૃત્વમાં FAITTA ના પ્રતિનિધિમંડળે આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમા સાથે મુલાકાત કરી હતી, જેમાં ચાના વેપાર અને ઉદ્યોગને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે પૂર પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આ મુશ્કેલ સમયમાં સમાજની પડખે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
આ પ્રસંગે FAITTA ના ચેરમેન અને વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈએ જણાવ્યું કે, ‘આસામ આપણી સમૃદ્ધ ચા પરંપરાનું હૃદય છે અને અહીના ખેડૂતો તથા સમુદાયે દેશના ચા ઉદ્યોગ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે. જ્યારે પણ આવી મોટી આપત્તિ આવે, ત્યારે આખા પરિવારે એક થઈને મદદ માટે આગળ આવવું જ જોઈએ. મુખ્યમંત્રી રાહત ફંડમાં અમારું આ યોગદાન આ મુશ્કેલ સમયમાં આસામના લોકોની સાથે ઊભા રહેવાનો એક નાનો પ્રયાસ છે. અમને આશા છે કે આનાથી પીડિત પરિવારોને થોડી રાહત મળશે અને તેમની હિંમત વધશે.’
આસામના મુખ્યમંત્રીએ રાહત નિધિમાં FAITTA ના આ ઉદાર યોગદાનની પ્રશંસા કરી હતી અને આસામના લોકો પ્રત્યે સંસ્થાએ દર્શાવેલી લાગણી અને સહાનુભૂતિને બિરદાવી હતી.
આ પહેલ ચા સમુદાયની સમુદાય કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને ચા મૂલ્ય શૃંખલામાં હિસ્સેદારોને એકસાથે લાવવામાં FAITTA ની ભૂમિકાને મજબૂત બનાવે છે, ખાસ કરીને કુદરતી આફતો અને માનવતાવાદી જરૂરિયાતના સમયે.
