Saint-Gobain અને CEPT યુનિવર્સિટીએ આજે હવામાન-અનુકૂળ ટેક કોમન્સ સેન્ટર સ્થાપિત કરવા અને બાંધકામ ક્ષેત્રમાં ટકાઉપણું, ઉર્જા કાર્યક્ષમતા અને સુખાકારી પર સંશોધન નાતે સહયોગને પ્રોત્સાહન આપવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી.
આ સહયોગ હળવા અને ટકાઉ બાંધકામમાં Saint-Gobainની કુશળતા અને શિક્ષણ અને સંશોધનમાં CEPTના નેતૃત્વને એકસાથે લાવે છે, જે આર્કિટેક્ચર, ડિઝાઇન, બાંધકામ અને શહેરી વિકાસના ક્ષેત્રોમાં પ્રત્યક્ષ શિક્ષણ તથા વાસ્તવિક દુનિયાની સમસ્યાઓના ઉકેલ દ્વારા શિક્ષણજગત અને ઉદ્યોગજગત વચ્ચે મજબૂત સેતુનું નિર્માણ કરે છે. આ કેન્દ્ર ટકાઉ બાંધકામ ક્ષેત્રે બિલ્ડિંગ સાયન્સ, સંશોધન, પ્રોટોટાઇપિંગ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ-સંચાલિત જ્ઞાનના આદાનપ્રદાન માટે પોતાની પ્રકારના પ્રથમ મંચ તરીકે કાર્ય કરશે.
આ પ્રસંગે બોલતા, એશિયા પેસિફિક અને ભારત ક્ષેત્રના સિનિયર વાઇસ-પ્રેસિડેન્ટ અને CEO શ્રીધર એન.એ જણાવ્યું હતું કે, “Saint-Gobain ના ટકાઉ ઉકેલો હવામાન-અનુકૂળ ઇમારતોની જગ્યાઓનું નિર્માણ કરે છે, જે 40% ઓછી ઉર્જાનો વપરાશ કરે છે, પ્રદુષણ ઘટાડે છે, સર્ક્યુલારિટીમાં સુધારો કરે છે, ટકાઉપણું વધારે છે, રહેવા માટે સ્વસ્થ અને આરામદાયક જગ્યાઓ પૂરી પાડે છે. અમારો ઉદ્દેશ્ય સુખાકારીને કેન્દ્રમાં રાખીને ટકાઉ અને ઉર્જા-કાર્યક્ષમ બાંધકામને પ્રોત્સાહન આપવાનો છે. આ સહિયારું લક્ષ્ય CEPT સાથેની અમારી ભાગીદારીના કેન્દ્રમાં છે. સાથે મળીને, અમે આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને ભારતની અનન્ય જરૂરિયાતોને અનુરૂપ ટકાઉ બાંધકામ માટે એક લિવિંગ લેબ પુરી પાડીશું અને આગામી પેઢીની પ્રતિભાઓમાં જાગૃતિ લાવીશું જે આવનારા દાયકાઓ સુધી ભારતના બાંધકામ ક્ષેત્રના ભવિષ્યને નવો આકાર આપશે.”
આ ભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડતા, CEPT યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રો. બર્જોર મહેતાએ જણાવ્યું હતું કે, “વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો કરવા માટે જ્ઞાનનું નિર્માણ કરવામાં યુનિવર્સિટીઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ટેક કોમન્સ સેન્ટર (TCC) અને Saint-Gobain સાથેના અમારા સહયોગ દ્વારા, અમે અમારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને ઇમારતોના પ્રદર્શન, ટકાઉપણું અને નવીનતા સાથે સીધા જોડાવાની તક આપી રહ્યા છીએ. TCCના ચાર કેન્દ્રો – બિલ્ડિંગ સાયન્સ એન્ડ ક્લાઇમેટ રેઝિલિયન્સ, અર્બન ઇન્ટેલિજન્સ એન્ડ ડિજિટલ ટ્વિન્સ, કોમ્પ્યુટેશનલ ડિઝાઇન એન્ડ વિઝ્યુલાઇઝેશન, અને કોમ્યુનિકેશન્સ એન્ડ મીડિયા – તેમના સહિયારા પ્લાન્ટ સાથે, શૈક્ષણિક સંશોધનને વ્યાવસાયિક પદ્ધતિઓની નજીક લાવશે અને ટકાઉ બાંધકામ ક્ષેત્રને આગળ ધપાવશે.”
