અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને અમેરિકામાં મોટી કાનૂની રાહત મળી છે. ન્યૂયોર્કની ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટએ અમેરિકી ન્યાય વિભાગ (DoJ)ની અરજી સ્વીકારી ગૌતમ અદાણી અને અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી સામે દાખલ કરાયેલા ફોજદારી કેસને કાયમી ધોરણે રદ કરી દીધો છે. અમેરિકી કાનૂની ભાષામાં તેને ‘વિથ પ્રેજ્યુડિસ’ મતલબ કે આ જ આરોપોના આધારે હવે ફરીથી ગુનાહિત કાર્યવાહી શરૂ કરી શકાશે નહીં. આ નિર્ણય સાથે લગભગ બે વર્ષથી ચાલતી કાનૂની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે.
કોર્ટના નિર્ણય બાદ ગૌતમ અદાણીએ તેને “સત્યની જીત” ગણાવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે જણાવ્યું કે કોર્ટના નિર્ણયનું તેઓ નમ્રતા અને ન્યાયિક પ્રક્રિયા પ્રત્યે ઊંડા સન્માન સાથે સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે પડકારજનક સમયગાળા દરમિયાન પણ સત્ય, નિષ્પક્ષતા અને કાયદાના શાસન પ્રત્યે તેમનો વિશ્વાસ અડગ રહ્યો હતો. તેમણે તેમના પર, વ્યવસ્થા પર અને ભારતની ન્યાયિક ક્ષમતા પર વિશ્વાસ રાખનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
કોર્ટએ વિસ્તૃત સમીક્ષા બાદ મંજૂરી આપી
અમેરિકી ન્યાય વિભાગની અરજી સ્વીકારતા અગાઉ કોર્ટએ સમગ્ર મામલાની વિગતવાર સમીક્ષા કરી હતી. ન્યાયાધીશ નિકોલસ જી. ગરોફિસે DoJને કેસ પરત ખેંચવાના કારણો જાહેર કરવા જણાવવા સાથે જ ગૌતમ અદાણી અને સાગર અદાણી પાસેથીએફિડેવિટ દાખલ કરાવી એ સુનિશ્ચિત કર્યું હતું કે કેસ રદ કરવા બદલ કોઈ વચન, લાભ, સોદો કે ગુપ્ત સમજૂતી કરવામાં આવી નથી.
ન્યાયાધીશે નોંધ્યું હતું કે અદાણી ગ્રુપની રોકાણ પ્રતિબદ્ધતાનો DoJના નિર્ણય પર કોઈ પ્રભાવ પડ્યો હોવાનો આધાર મળ્યો નથી. અને તેમણે સ્પષ્ટ કર્યુંહતુંકે આવા મામલાઓમાં કોર્ટની ભૂમિકા મર્યાદિત હોય છે.
DoJનું મંતવ્ય: કાર્યવાહી ચાલુ રાખવી ન્યાયહિતમાં નહીં
કેસની સમીક્ષા બાદ અમેરિકી ન્યાય વિભાગે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આ કેસ આગળ વધારવો હવે ન્યાયના હિતમાં નથી. વિભાગે અધિકારક્ષેત્ર સંબંધિત પડકારો, ઉપલબ્ધ પુરાવાઓની સ્થિતિ, કથિત ઘટનાઓનો મુખ્યત્વે ભારત સાથેનો સંબંધ, ભારતીય સત્તાધીશો દ્વારા થયેલી તપાસ, રોકાણકારોને કોઈ સ્પષ્ટ નુકસાન ન થવું અને વ્યાપક જાહેર હિત જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.વિભાગે એમ પણ જણાવ્યું હતું કે નવેમ્બર 2024માં જાહેર કરાયેલા આ આરોપપત્રની ટ્રાયલ સુધી પહોંચવાની વાસ્તવિક શક્યતા ખૂબ ઓછી હતી.
