અમદાવાદ, 19 ઓગસ્ટ 2026: ઓડિશા સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, સંસદીય બાબતો તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગના માનનીય મંત્રી ડૉ. મુકેશ મહાલિંગએ આજે અમદાવાદ સ્થિત શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ દ્વારા છેલ્લા 26 વર્ષથી આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ હૃદયરોગી દર્દીઓને સંપૂર્ણપણે નિઃશુલ્ક હૃદય સારવાર અને સર્જરી આપવામાં આવી રહી છે. હોસ્પિટલની આ નિઃસ્વાર્થ અને માનવતાભરી સેવા જોઈને ડૉ. મુકેશ મહાલિંગ ખૂબ જ પ્રભાવિત થયા હતા.
મુલાકાત દરમિયાન ડૉ. મુકેશ મહાલિંગે હોસ્પિટલમાં હૃદયની સર્જરી કરાવનાર 10 દર્દીઓને ડિસ્ચાર્જ આપ્યો હતો અને તેમને આશીર્વાદ આપ્યા હતા. તેમણે દર્દીઓ તથા તેમના પરિવારજનો સાથે વાતચીત કરી અને હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહેલી નિઃસ્વાર્થ સેવાની પ્રશંસા કરી હતી.
શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત ન રહેતા દેશના વિવિધ રાજ્યોના જરૂરિયાતમંદ દર્દીઓને હૃદય સારવાર ઉપલબ્ધ કરાવે છે. હોસ્પિટલના ઓડિશા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, ગુજરાત, લેહ-લદ્દાખ અને આસામ સહિતના રાજ્યો સાથે MOU (Memorandum of Understanding) કરવામાં આવ્યા છે, જેના માધ્યમથી જરૂરિયાતમંદ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડી તેમને સંપૂર્ણ નિઃશુલ્ક હૃદય સારવાર આપવામાં આવે છે.
હોસ્પિટલની આ અનોખી સેવા “Dil Without Bill”ના સંકલ્પને સાકાર કરતી માનવતાની એક ઉત્તમ મિસાલ છે. છેલ્લા 26 વર્ષમાં હજારો જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક હૃદય સારવાર આપી તેમના જીવનમાં નવી આશા અને ખુશી લાવવામાં આવી છે.
ડૉ. મુકેશ મહાલિંગની આ મુલાકાતે શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલની નિઃસ્વાર્થ સેવા અને દેશભરમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે કરવામાં આવી રહેલા માનવતાભર્યા કાર્યને વધુ પ્રોત્સાહન અને પ્રેરણા આપી છે.
