ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના વરદ હસ્તે અમદાવાદના શાહીબાગ ખાતે શ્રી પંચાલ મિલન મંદિર ટ્રસ્ટના ‘નૂતન હોલ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સમાજની પ્રગતિને કંડારતા ‘સોવેનિયર’નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ પ્રસંગે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, સમાજના વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યો માટે આ નવનિર્મિત હોલ આગામી સમયમાં એક ઉત્તમ માધ્યમ બનશે. તેઓએ સમાજના પરિવારજનો વચ્ચે ઉપસ્થિત રહેવાનો અવસર મળવા બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે, સમાજને મજબૂત બનાવવા માટે શું કરી શકાય તે અંગે સતત પ્રયાસો થવા જોઈએ અને તેમાં શિક્ષણને સૌથી મહત્વપૂર્ણ પાયો ગણાવ્યો. યુવાનો આગળ આવે અને સમાજ માટે પોતાનું યોગદાન આપે તે અત્યંત આવશ્યક છે. શિક્ષણ સાથે સામાજિક સંસ્કારોનું સંવર્ધન પણ એટલું જ જરૂરી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને ટાંકીને તેમણે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં સારી શાસન વ્યવસ્થા માટે ચિંતન શિબિરોનું આયોજન કરીને દિશા દર્શાવી હતી. એ જ રીતે સમાજના બંધારણમાં પણ યુવાનોને સાથે લઈને સમાજને કઈ દિશામાં આગળ વધારવો તે અંગે ચર્ચા અને આયોજન થવું જોઈએ. આપણે પરંપરાગત કૌશલ્ય યુવા પેઢીને વારસામાં આપવું જોઈએ, જેથી જૂની કળાઓનું સંરક્ષણ થઈ શકે. આ કાર્યક્રમમાં સમાજશ્રેષ્ઠીઓ, સામાજિક આગેવાનો, અગ્રણીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
