તા. ૧ મે, ૨૦૨૬ (શુક્રવાર)ના રોજ પ્રખ્યાત શ્રીમદ્ ભાગવત કથાકાર અને આધ્યાત્મિક વક્તા પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાશ્રીએ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, અમદાવાદની શુભ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પૂજ્ય દાદાશ્રીએ હોસ્પિટલની વિવિધ સેવાઓ, સારવાર વ્યવસ્થા તથા દર્દીઓ માટે ચાલી રહેલી નિઃશુલ્ક હૃદય સારવારની કામગીરીનું અવલોકન કર્યું હતું. શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ છેલ્લા ૨૫ વર્ષથી રાજકોટ અને અમદાવાદ ખાતે નિઃસ્વાર્થ ભાવથી હૃદયરોગી દર્દીઓની સેવા આપી રહી છે.
હોસ્પિટલમાં ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને નિઃશુલ્ક હૃદય સર્જરી અને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે માનવસેવાનું અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ છે. પૂજ્ય દાદાશ્રીએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, “આ હોસ્પિટલની મુલાકાત દરમિયાન અહીં ચાલી રહેલી નિઃસ્વાર્થ સેવા, સમર્પણ અને કરુણાભાવનો અનુભવ ખૂબ જ પ્રેરણાદાયી રહ્યો. માનવસેવાના આ કાર્યમાં જોડાયેલા દરેક સેવકો ધન્ય છે.”
આ પ્રસંગે હોસ્પિટલમાં નિઃશુલ્ક હૃદય સર્જરી કરાવી સ્વસ્થ થયેલા ૧૦ બાળદર્દીઓને પૂજ્ય દાદાશ્રીએ આશીર્વાદ આપ્યા અને તેમના ઉજ્જવળ તથા સ્વસ્થ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાશ્રીની આ પાવન મુલાકાત હોસ્પિટલ પરિવાર માટે પ્રેરણાદાયી અને સ્મરણિય ક્ષણ બની રહી. તેમના આશીર્વાદથી હોસ્પિટલ પરિવારને માનવસેવાના આ પવિત્ર કાર્યમાં વધુ સમર્પિત થવાની નવી શક્તિ અને પ્રેરણા પ્રાપ્ત થઈ છે.
આ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબો, આધુનિક સાધનો અને સંપૂર્ણ સેવા ભાવના સાથે દર વર્ષે હજારો દર્દીઓને મફત સર્જરી અને સારવાર આપવામાં આવે છે. આ સેવા સંપૂર્ણપણે દાન અને સહયોગથી સંચાલિત માનવતામૂલક આરોગ્યસેવાનું અનન્ય મોડેલ છે.
આવો સહકાર માત્ર દાન નથી, પરંતુ સમાજમાં કરુણા, સહકાર અને માનવસેવાની ભાવનાને વધુ મજબૂત બનાવતો પ્રેરણાદાયક સંદેશ છે. હોસ્પિટલ હાલમાં દેશના ૧૧ રાજ્યો સાથે MOU ધરાવે છે અને અત્યાર સુધી હજારો દર્દીઓના હૃદયના ઓપરેશન્સ સફળતાપૂર્વક નિઃશુલ્ક કરવામાં આવી ચૂક્યા છે. ‘દિલ વિધાઉટ બિલ’ના નામે જાણીતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ અને અમદાવાદ સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સેવા આપી રહી છે.
ગુજરાતની આ બે હોસ્પિટલોએ અત્યાર સુધી ભારતના તમામ રાજ્યોમાંથી અને દેશની કુલ વસ્તીના ૬૦% થી વધુ ભાગમાંથી આવેલા હજારો દર્દીઓને જીવનદાન આપ્યું છે.
