સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ઉમા આર્ટ્સ એન્ડ નાથીબા કોમર્સ મહિલા કોલેજમાં આજે ‘વર્તમાન સમયમાં અભિવ્યક્તિનો અંદાજ’ વિષયક પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં જાણિતા કોલમિસ્ટ, લેખક અને એ. પી. પબ્લિકેશન ડાયરેક્ટર તથા પૂર્વ અધિક માહિતી નિયામક શ્રી પુલકભાઇ ત્રિવેદીએ આજના સમયમાં પત્રકારત્વની પરિભાષા વિષય ઉપર મનનીય વક્તવ્ય આપ્યું હતું. કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. લલિતકુમાર પટેલે પત્રકારત્વ ક્ષેત્રની આવશ્યકતા અને શબ્દોની શક્તિ ઉપર વાર્તાલાપ આપ્યો હતો. સર્વ વિદ્યાલય કેળવણી મંડળના શ્રી વલ્લભભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા પ્રસ્તુત સેમિનારમાં મોટી સંખ્યામાં મહિલા સ્નાતક કક્ષાનો અભ્યાસ કરતી યુવાન વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વર્તમાન સમયમાં પત્રકારત્વની વિસ્તરેલી ક્ષિતિજો અંગે ઉલ્લેખ કરતાં શ્રી પુલક ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભાષા, શૈલી, નિષ્ઠા સાથે ટેકનોલોજીના સમન્વયથી આજનુ પત્રકારત્વ વધુ સમૃધ્ધ બન્યું છે. પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ અને ન્યુ મીડિયા સંદર્ભે શ્રી ત્રિવેદીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલકને આવરી લઇને વિગતે પત્રકારત્વક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનો ઉપર પ્રકાશ પાડ્યો હતો.પત્રકારત્વ વિભાગના પ્રિન્સિપાલ શ્રીમિતેષમોદીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
પ્રસ્તુત સેમિનારમાંપત્રકારત્વ ક્ષેત્રનું મહત્વ, આધુનિક મીડિયામાં આવી રહેલા પરિવર્તનો, અને પત્રકાર તરીકેની જવાબદારીઓ અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. પત્રકારત્વ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના વિવિધ અવસરો વિશેની ઉપયોગી જાણકારી મળતા પરિસંવાદથી પ્રેરિત થઇને કેટલીક વિદ્યાર્થીનીઓએ મીડિયા વર્લ્ડ સાથે સંકળાવવાની ઉત્સુકતા દાખવી હતી. પ્રસ્તુત સેમિનારમાં જાણીતા પર્યાવરણવીદ અને પત્રકાર કિશોરસિંહ પઢિયાર, શ્રી કુનાલ ગઢવી તથા મોટી સંખ્યામાં સ્નાતક કક્ષાનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર પરિસંવાદનું સફલ સંચાલન અર્થશાસ્ત્ર વિષયના અધ્યાપક ડૉ. કૃપાબેન ભટ્ટે કર્યું હતું. આભારવિધિ ગુજરાતી વિભાગના અધ્યાપક અને NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. કિરણબેન ખેની દ્વારા કરવામાં આવી હતી.
